ગુરુ પૂર્ણિમા 2011

અષાઢ સુદ પૂર્ણિમા કે જે ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે શિષ્ય ગુરુ પ્રત્યે પોતાનો સમર્પણનો ભાવ રજુ કરે છે. ભારતીય સંસ્કૃતિની અનેક વિશેશતાઓમાં અનન્ય છે ગુરુ શિષ્ય પરંપરા. આ જ પરંપરાના માર્ગદર્શક સંતજનોએ ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુનું માહત્મ્ય ‘ધર્મદર્શન’ માટે વ્યક્ત કર્યું છે.
ગુરુપૂર્ણિમા ગુરુ પ્રત્યે ઋણ અદા કરવાનો એક પવિત્ર અવસર છે. તો આ અવસર પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ એટલાજ ભાવ અને શ્રદ્ધા સાથે આત્મીય વિદ્યામંદિરમાં શૈક્ષણિક વર્ષ 2011-2012માં તારીખ 16-07-2011 ને શનિવારના રોજ ઉજવવામાં આવ્યો. આ દિવસે સાંજના 4:30 થી 6:30 ના સમય દરમ્યાન સંતોના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા ઉજવવામાંઆવી હતી. જેમાં પ.પૂ.કોઠારી સ્વામી, સુહ્રદ સ્વામી, પ્રભુદર્શન સ્વામી, વંદનસ્વામી, યોગી સ્વામી વગેરે સંતોના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા ઉજવવામાં આવ્યો હતો. તેઓનું સ્વાગત સમગ્ર આત્મીય પરિવાર વતી ધોરણ 6 માં અભ્યાસ કરતા ભૂલકું સર્વનમનભાઈ તથા ભૂલકું આત્મીયભાઈએ કર્યું હતું. ત્યારબાદ પ્રભુદર્શન સરના એન્કરીંગ હેઠળ સર્વે સંતોનું પુષ્પમાળાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સોમનાથ સર તથા તેમની સાથેના બાળકલાકારોએ સુંદર શ્ર્લોક સાથે પ્રાર્થનાની શરૂઆત કરી હતી અને સોમનાથ સરે ગુરુભક્તિ પર સુંદર ભજન ગાયું હતું.

ત્યારબાદ સુહ્રદ સ્વામીએ ગુરુપૂર્ણિમા વિશે સરસ વક્તવ્ય આપ્યું અને તેમાં તેમણે સમજાવ્યું કે આપણે કોઈપણને ગુરુ બનાવીએ તો તે ગુરુમાંથી આપણને કંઈક ને કંઈકતો શિખવાનું મળે જ છે. ત્યારબાદ પૂજ્ય કોઠારી સ્વામીજીએ આત્મીય વિદ્યામંદિરના ભૂલકાંઓને ગુરુપૂર્ણિમાનું મહત્વ શું છે? અને તેને સાચા અર્થમાં કેવી રીતે ઉજવ્યો કહેવાય? તેની વિસ્તાર પૂર્વક સમજ આપી.

કોઠારી સ્વામીજીએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે “આપણે તો એક દિવસ અથવા એક  અઠવાડિયું ગુરુપૂર્ણિમા ઉજવીએ છીએ પણ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીતો 365 દિવસ ગુરુપૂર્ણિમા ઉજવે છે અને જીવન પર્યન્ત પોતાના ગુરુને રાજી કરવા તેમના આદેશને તથા તેમના વચનોને અનુસરે છે” તેમણે ગુરુનું આપણા જીવનમાં મહત્વ સમજાવતાં કહ્યું કે આદર્શ ગુરુ એક આદર્શ માતા સમાન છે જેઓ પોતાના શિષ્યનું વાત્સલ્યપૂર્વક ઘડતર કરે છે. ગુરુપૂર્ણિમા એ કોઈ વ્યક્તિનું નહિં પણ આસ્થા અને શ્રધ્ધાનું પૂજન છે. ગુરુપૂજન વ્યક્તિના રૂપમાં નહિ શ્રધ્ધાના રૂપમાં જોવાનું હોય છે. આમ, ભાવાત્મક સમજાવટ દ્ધારા કોઠારી સ્વામીજીએ પોતાની વાણીને વિરામ આપ્યો. ત્યારબાદ સર્વે ભૂલકાંઓએ ગુરુપૂજન કરી પ્રસાદી ગ્રહણ કરી.

લેખક: ગૌતમ સર